રાજ્યની યુનિવર્સિટીમાં તથા સંલગ્ન કોલેજોમાં ચાલતા સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં એક સત્ર ફી માફી જાહેર કરવા બાબત, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો

    1. રાજ્યની યુનિવર્સિટીમાં તથા સંલગ્ન કોલેજોમાં ચાલતા સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં એક સત્ર ફી માફી જાહેર કરવા બાબત, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો

 

તાકીદની બાબત


તા. ૦૭-૧૨-૨૦૨૦


પ્રતિ,

માન. મુખ્યમંત્રીશ્રી,

ગુજરાત રાજ્ય, ગાંધીનગર.


વિષય :  રાજ્યની યુનિવર્સિટીમાં તથા સંલગ્ન કોલેજોમાં ચાલતા સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં એક સત્ર ફી માફી જાહેર કરવા બાબત.


માનનીય,

નમસ્તે,

વર્તમાન સમયમાં દેશ-દુનિયા કોવિડ-૧૯ મહામારી સામે લડી રહી છે. આ સંજોગોમાં શૈક્ષણિકક્ષેત્રે શાળા-કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ સદંતર બંધ છે. માર્ચ મહિનાથી મે મહિના સુધી શિક્ષણકાર્ય સદંતર બંધ રહ્યું અને જૂન થી અત્યાર સુધી માત્ર ઓનલાઈન શિક્ષણ થઈ શક્યું છે. જેમાં પણ ૨૫ થી ૩૫ ટકા જ વિદ્યાર્થીઓ મર્યાદિત સમયમાં જોડાઈ રહ્યાં છે. આ સંજોગોમાં રાજ્યની અનુદાનિત અને સ્વ-નિર્ભર કોલેજોમાં વિદ્યાર્થીઓ પાસેથી આખી ફી ઉઘરાવવી એ કાયદેસરની લૂંટ અને સ્પષ્ટરૂપનો અન્યાય છે. વિજળી ખર્ચ, વહીવટી ખર્ચ, અન્ય ખર્ચાઓ સદંતર બંધ છે.

શિક્ષણક્ષેત્રે પ્રથમ સત્ર પુરૂ થયું અને બીજુ સત્ર પણ અડધુ થયું પણ, સરકારના શિક્ષણ વિભાગે કોલેજો-યુનિવર્સિટી માટે ફી માફીની સ્પષ્ટ જાહેરાત કે માર્ગદર્શન આપેલ નથી. હવે ઘણી યુનિવર્સિટીઓ પોતાની રીતે પરિપત્ર કરી રહી છે જે અધુરા, ટેકનીકલી ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. દા.ત. ઉત્તર ગુજરાત યુનિ. નો તા. ૪-૧૨-૨૦૨૦ નો પત્રક્રમાંક ૨૨૯/૨૦ નો પત્ર જેમાં સંચાલક મંડળોને ઉચ્ચક ૧૫ ટકા શિક્ષણ ફી માફ કરવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે. અમારી વિનંતી છે કે સરકારશ્રી દ્વારા ગુજરાતની તમામ સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સિટીઓ માટે સ્પષ્ટ રીતે એક સત્ર ફી માફીનો અમલ થાય તેવો પરિપત્ર તાકીદે જાહેર કરવામાં આવે.

ગુજરાત રાજ્યની તમામ અનુદાનિત અને સ્વનિર્ભર યુનિવર્સિટી તથા સંલગ્ન કોલેજોમાં ફી માફી માટે નીચેની બાબત ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને આ મહામારીના કપરા સંજોગોમાં આર્થિક રાહત મળે, તે માટે અને સત્ર ફી માફીની અમલવારી સાથેનો પરિપત્ર કરવા વિનંતી.

1. રાજ્યની તમામ સરકારી, અનુદાનિત કોલેજોમાં સરકારશ્રી તમામ ફી માફી આપે કારણ તે સરકારે જ આપવાની હોય છે. શિડ્યુલકાસ્ટ (એસ.સી), શિડ્યુલ ટ્રાયબલ(એસ.ટી.)ને સ્કોલરશીપ રૂપે ફ્રી શીપ કાર્ડ હેઠળ ફી પાછી જ આપવાની હોય છે. આર્થિક પછાત વિદ્યાર્થીઓને પણ મર્યાદિત લાભ અપાય છે. આ બધા બાદ જ વિદ્યાર્થીઓ ફી ભરવા પાત્ર થાય છે. માટે સરકારશ્રીને આ ફી માફીથી કોઈ મોટો આર્થિક બોજ પડવાનો જ નથી. સાથોસાથ, ખાનગી સંસ્થાઓએ અગાઉના વર્ષોમાં મોટા પાયે નફો કર્યો છે તે નફામાંથી જ આપવાના છે.

2. છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સરકાર અનુદાનિત યુનિવર્સિટીઓમાં અનેક કોર્ષ સ્વ-નિર્ભર શરૂ કરવામાં આવ્યા છે. સરકારી ગ્રાન્ટથી બનેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટેડ અધ્યાપકો દ્વારા જ ચલાવાતા આ કોર્ષની ફી પંદર હજારથી પાંસઠ હજાર સુધી વસુલવામાં આવે છે. આ કોવિડ-૧૯ના સમયમાં આ કોઈ કોર્ષ મોટા ભાગે શરૂ થયા નથી અથવા ઓનલાઈન માર્ગદર્શન માત્રથી મર્યાદિર રીતે ચાલે છે. આ માટે આવી તગડી ફી વસુલવી એ યોગ્ય નથી. માટે સરકારી અને ગ્રાન્ટેડ યુનિ. માં ચાલતા કોર્ષ માટેની ફી સરકાર એક સત્ર ફી માફ કરે તેવી માંગણી છે.

3. શાળાઓ માટેના ફી વિવાદમાં માનનીય ગુજરાત હાઈકોર્ટે આપેલા ચૂકાદા મુજબ માત્ર શૈક્ષણિક ફી ઉઘરાવવાની છૂટ આપવાની છે અન્ય ફી ઉઘરાવવાની નથી. આ બાબતનો શાળા અને કોલેજ કક્ષાએ સ્પષ્ટ અમલ કરવાની જરૂર છે.

(અ) તમામ એવા અભ્યાસક્રમો કે જેમાં લેબોરેટરી, પ્રેક્ટિકલ થાય છે અને હાલમાં તે થયા નથી તેથી કેમીકલ્સ અને અન્ય ખર્ચા થયા નથી. તેમાં લેબોરેટરી ફી માફ કરવી.

(બ) તમામ એવા અભ્યાસક્રમો (દા.ત. અનુસ્નાતક) જ્યાં છેલ્લા સેમેસ્ટર કે વર્ષની પરિક્ષા જ મોડી થઈ અને પ્રથમસત્રમાં શિક્ષણકાર્ય થયુ જ નથી ત્યાં પણ પ્રથમસત્રની ફી સંપૂર્ણ માફ કરવી.

(ક) તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી કેમ્પસમાં ગયા જ નથી માટે

- સાંસ્કૃતિક ફી, લાયબ્રેરી ફી, રમત-ગમત ફી / જીમખાના ફી

વગેરેના નામે ઉઘરાવાતી ફી પર સદતંર પ્રતિબંધ મૂકવો જોઈએ.

(ડ) કોમ્પ્યુટર ફી ના નામે તગડી ફી વસુલવામાં આવે છે તે રદ કરવી.

(ઈ) સાહેબશ્રી આપને વિદિત હશે જ કે માન. ગુજરાત હાઈકોર્ટના વખતો વખતના ચુકાદામાં ગુજરાતની ગ્રાન્ટેડ શાળા-કોલેજોમાં કેમ્પસ ડેવલપમેન્ટ કે સ્થાનિક કલ્ચરલ એક્ટિવીટીના નામે ઉઘરાવવામાં આવતી ફી પર પ્રતિબંધ છે. 

આમ છતા ઘણી સંસ્થાઓ આ નામે હજારો રૂપિયા ઉઘરાવે છે. કોરોના હોય કે ન હોય આ પ્રકારની ફી માટે કાયમી પ્રતિબંધ રાખવો જોઈએ. સાથોસાથ, ફી નિર્ધારણ સમિતિએ સ્વનિર્ભર અભ્યાસક્રમો જે વ્યવસાયીક અભ્યાસક્રમની વ્યાખ્યામાં નથી આવતા તે અંગે ફી ના ધોરણો આજદિન સુધી નક્કી કર્યા નથી. આવા અભ્યાસક્રમો જે તે યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજો સત્તા મંડળની મંજુરીના નામે પોતાની રીતે ફીના ધોરણો નક્કી કરીને વિદ્યાર્થીઓ પાસેથી લઈ રહ્યાં છે.

આમ ઉચ્ચક ફી માફીના પરિપત્રને બદલે એક સત્ર ફી માફીના આદેશ સાથે વિગતવાર માર્ગદર્શન સાથેનો પરિપત્ર થવો જરૂરી છે. જેથી અનુદાનિત કે સ્વ-નિર્ભર તમામ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે કોરોના મહામારીમાં રાહત મળે. 

(ડૉ. મનિષ એમ. દોશી)

નકલ રવાના

(૧) માન. શિક્ષણમંત્રીશ્રી, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

(૨) માન. નેતાશ્રી, વિધાનસભા કોંગ્રેસપક્ષ, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.

BBK NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️🎉



Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.